અફઘાનિસ્તાન સામે મોહાલી અને ઇન્દોરમાં જીત સાથે ભારતે ટી૨૦ શ્રેણી જીતી લીધી છે. ત્રીજી અને છેલ્લી ટી૨૦ મૅચમાં તે ક્લીન સ્વીપ કરવાના ઇરાદા સાથે અફઘાનિસ્તાન સામે ઊતરશે. ફૅન્સ કૅપ્ટન રોહિત શર્માના ફૉર્મમાં પરત ફરવાની પણ આશા રાખશે. જૂનમાં યોજાનાર ટી૨૦ વર્લ્ડ કપ પહેલાં ભારતીય ટીમની આ છેલ્લી ટી૨૦ મૅચ હશે.
પ્રથમ બૉલથી જ આક્રમક રમતની ભારતની વ્યૂહરચના બન્ને મૅચમાં ૬ વિકેટે જીત મેળવવામાં મહત્ત્વની હતી.
ભારતે પ્રથમ મૅચમાં ૧૭.૩ ઓવરમાં ૧૫૯ રન અને બીજી મૅચમાં ૧૫.૪ ઓવરમાં ૧૭૩ રનનો ટાર્ગેટ હાંસલ કર્યો હતો. અગાઉ ટી૨૦માં ભારતીય ટીમ શરૂઆતમાં સાવધાનીથી રમી રહી છે અને છેલ્લી ઓવરોમાં હાથ ખોલીને રમવાની રણનીતિ અપનાવી રહી છે.
૧૭ જાન્યુઆરીના રોજ બૅન્ગલોરના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં અફઘાનિસ્તાન સામેની ત્રીજી ટી૨૦ મૅચ સાંજે ૭ વાગ્યે શરૂ થશે. એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ટીમ ઇન્ડિયા કુલ ૭ ટી૨૦ મૅચ રમી છે, જેમાંથી ૩ મૅચમાં જીત અને ૩ મૅચમાં હારનો સામનો કરવો પડ્યો છે, જ્યારે એક મૅચ વરસાદને કારણે રદ થઈ છે. બૅન્ગલોરમાં અફઘાનિસ્તાન સામે ત્રીજી ટી૨૦ મૅચ જીતીને ટીમ ઇન્ડિયા ક્લીન સ્વીપનો ટાર્ગેટ રાખશે. ટી૨૦ વર્લ્ડ કપ પહેલાં આ જીત ટીમ ઇન્ડિયામાં આત્મવિશ્વાસ વધારવાનું કામ કરશે.
આ ખેલાડીઓ પર રહેશે નજર
શિવમ દુબે અને વિરાટ કોહલી જેવા બૅટ્સમેન પ્રથમ બૉલથી જ આક્રમક રમત રમી રહ્યા છે. ત્રીજી ટી૨૦માં કૅપ્ટન રોહિત શર્મા પર સૌની નજર રહેશે. છેલ્લી મૅચમાં કુલદીપ યાદવ અને અવેશ ખાનને તક મળી શકે છે. રવિ બિશ્નોઈ અથવા વૉશિંગ્ટન સુંદરની જગ્યાએ કુલદીપને અને મુકેશ કુમારની જગ્યાએ અવેશને મેદાનમાં ઉતારવામાં આવી શકે છે. વિકેટકીપર જિતેશ શર્માને આરામ આપવા માટે સંજુ સૅમસનને ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે. બીજી તરફ અફઘાનિસ્તાન બન્ને મૅચમાં નિષ્ફળ રહેલા ઓપનિંગ બૅટ્સમૅન રહેમાનુલ્લા ગુરબાઝ પાસેથી વધુ સારા પ્રદર્શનની આશા રાખશે.
પિચ અને વેધર રિપોર્ટ
એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમની પિચ બૅટ્સમેનો માટે સ્વર્ગ માનવામાં આવશે. આ સ્ટેડિયમમાં રનનો વરસાદ જોવા મળી શકે છે. શરૂઆતમાં આ પિચ બોલર્સને મદદ કરી શકે છે. ૧૭ જાન્યુઆરીના રોજ એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં હવામાન સાફ રહેશે.