- ખાંસીમાં રાહત મેળવવા હળદરનો કરો ઉપયોગ
- લીંબુ અને મધ પણ ખાંસીથી રાહત અપાવશે
- સ્ટીમ લેવાથી શ્વાસ લેવામાં આરામ મળશે
થોડા સમયથી શિયાળાએ પોતાનું રૂપ બતાવવાનું શરૂ કર્યું છે. આ સમયે ઠંડા પવનના કારણે લોકોને શરદી અને ખાંસીની સાથે તાવની સમસ્યા પણ રહે છે. જો તમે પણ શરદી-ખાંસીથી પરેશાન છો તો દવા લો તે યોગ્ય છે પણ સાથે કેટલાક અસરકારક ઘરેલૂ નુસખા અપનાવી લેશો તો તમને ઝડપથી રાહત મળી શકે છે.
આ સમસ્યામાં તમને બેચેની વધારે રહે છે અને સાથે તમારે રોજિંદા કામ કરવામાં પણ મુશ્કેલી અનુભવવી પડે છે.
સતત ખાંસી આવવાના કારણે તમારા ફેફસા અને શરીરના અન્ય ભાગ પર પણ અસર પડે છે. કેટલાક ઘરેલૂ ઉપાયો અજમાવીને તમે તેને સરળતાથી ઠીક કરી શકો છો. આ ઉપાયોની કોઈ આડઅસર પણ થતી નથી. શિયાળો આવતા જ તમે આ દેશી નુસખાને અપનાવવાનું શરૂ કરી દેશો તો તમારે મુશ્કેલીઓનો સામનો ઓછો કરવો પડશે. તો જાણો શું કરવું.
મીઠાના પાણીના કોગળા કરો
જો તમે ખાંસીથી મુશ્કેલી અનુભવી રહ્યા છો, તો મીઠાના પાણીના કોગળા કરવાથી થોડી રાહત રહે છે. એક ગિલાસ ગરમ પાણીમાં થોડુ મીઠું મિક્સ કરો અને સવારે ઊઠીને તરત જ કોગળા કરવાથી રાહત મળે છે. તેનાથી ગળાની બળતરા ઓછી થશે અને ખાંસી પણ ઘટશે.
હળદર
હળદર તેના દવાના ગુણના કારણોથી ઘણી સમસ્યાઓથી રાહત મળે છે. ખાંસીથી આરામ મેળવવા માટે પણ તમે હળદરનો ઉપયોગ કરી શકો છો. જ્યારે થોડું દૂધ અને કાળા મરીની સાથે તેનું સેવન કરાય છે તો ખાંસીથી રાહત મળે છે. આ સિવાય તમે આદુ અને હળદરની ચા પણ પી શકો છો.
લીંબુ અને મધ
લીંબુ અને મધ પણ ખાંસીથી રાહત અપાવવામાં ખૂબ મદદરૂપ થશે. ગરમ પાણીમાં લીંબુ અને મધ ભેળવીને પીવાથી તમારા ગળાને ઘણી રાહત મળે છે. મધમાં હાજર એન્ટિ-માઈક્રોબાયલ ગુણો અને લીંબુમાં હાજર વિટામિન સી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. તમે તમારી ચામાં એક ચમચી મધ ઉમેરીને પણ પી શકો છો.
સ્ટીમ લો
જો તમે શરદી અને ઉધરસથી પરેશાન છો, તો સ્ટીમ લેવાથી તમને આ સમસ્યામાંથી તાત્કાલિક રાહત મળી શકે છે. સ્ટીમ શ્વાસમાં લેવાય તો શરદીમાં રાહત મળે છે. તમે હ્યુમિડિફાયરનો ઉપયોગ કરી શકો છો અથવા સ્ટીમ લઈ શકો છો. આ ઉપરાંત તમે ગરમ પાણીના બાઉલની મદદથી વરાળ લઈ શકો છો.
(નોંધ: આ લેખ માં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી નાં ઉદ્દેશ્ય થી આપવામાં આવી છે. સ્વાસ્થ્ય ને લગતી કોઈ પણ માહિતી નું પાલન કરતા પહેલા તમારા ડૉક્ટર ની સલાહ અવશ્ય લેવી.)