વિક્રાંત મેસ્સીને ’12th ફેઈલ’ બાદ મોટા બેનર તરફથી પણ હિન્દી ફિલ્મો ઓફર થઈ રહી છે. એકતા કપૂરે ‘ધ સાબરમતી રિપોર્ટ’ ટાઈટલ સાથે આગામી પ્રોજેક્ટની તૈયારી શરૂ કરી છે. આ ફિલ્મમાં વિક્રાંત મેસ્સીનો લીડ રોલ ફાઈનલ થયો છે. આ ફિલ્મથી રાશિ ખન્ના બોલિવૂડમાં ડેબ્યુ કરી રહી છે. રાશિ ઉપરાંત ‘જવાન’માં શાહરૂખ સાથે રોલ કરનારી રિદ્ધિ ડોગરાને પણ મહત્ત્વનો રોલ અપાયો છે.
2002ના વર્ષમાં 27 ફેબ્રુઆરીના રોજ ગોધરા ખાતે તોફાની ટોળાએ સાબરમતી એક્સપ્રેસના એસ-6 કોચને આગ લગાવી હતી. આ હિચકારા હુમલામાં 59 કારસેવકોનો ભોગ લેવાયો હતો. કારસેવકોની હત્યાના પગલે દેશભરમાં આઘાત અને આક્રોશની લાગણી હતી, જ્યારે રાજ્યમાં ઠેર-ઠેર કોમી રમખાણો ફાટી નીકળ્યા હતા. 2002ના કોમી રમખાણો અંગે અનેક હિન્દી ફિલ્મોમાં ઉલ્લેખ થયા છે, પરંતુ સાબરમતી એક્સપ્રેસ પર હુમલાની ઘટનાને કેન્દ્રમાં રાખીને પહેલી બિગ બજેટ ફિલ્મ બની રહી છે.
બિગ બજેટ ટીવી શો અને ફિલ્મો બનાવવા માટે જાણીતાં પ્રોડ્યુસર એકતા કપૂરે ‘ધ સાબરમતી રિપોર્ટ’ નામથી ફિલ્મ બનાવવાની તૈયારી શરૂ કરી દીધી છે. એકતાએ ડાયરેક્શનની જવાબદારી રાજન ચંદેલને સોંપી છે. ફિલ્મમાં લીડ રોલ માટે વિક્રાંત મેસ્સીની પસંદગી થઈ છે. વિક્રાંત અને એકતાએ અગાઉ ‘બ્રોકન બટ બ્યુટીફુલ’ ફ્રેન્ચાઈઝીમાં સાથે કામ કર્યુ હતું. આ ફિલ્મની એનાઉનમેન્સ માટે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર થયો હતો. જેમાં જણાવાયું હતું કે, નહીં કહેવાયેલી સ્ટોરી સાથે ઈતિહાસના પાના ઉથાપવા તૈયાર થઈ જાવ- ધ સાબરમતી રિપોર્ટ -સમગ્ર દેશને કારમો ઘા આપનારી 2002ની ઘટનામાં ડોકિયું કરવા તૈયાર રહો. 3 મે, 2024ના રોજ સિનેમામાં આવી રહી છે.
વિક્રાંત મેસ્સીને સ્ટાર તરીકેની ઓળખ રીયલ લાઈફ આધારિત ફિલ્મ ’12th ફેઈલ’થી મળી છે. વિક્રાંતને મળેલી બીજી મોટી ફિલ્મ પણ સત્ય ઘટનાથી પ્રેરિત છે. અયોધ્યામાં કારસેવા કરીને ટ્રેનમાં પરત આવી રહેલા શ્રદ્ધાળુઓ એસ-6 કોચમાં બેઠેલા હતા. હિંસક ટોળાએ ગોધરામાં આ કોચને આગ લગાવી હતી અને 59 કારસેવકોને જીવતા સળગાવી દીધા હતા. ગુજરાત રાજ્યના ઈતિહાસમાં કાળી ટીલી સમાન આ ગોઝારા હત્યાકાંડના પડઘા બે દાયકા બાદ પણ શમ્યા નથી.
સામાન્ય રીતે સાસ-બહુ પ્રકારની સિરિયલો બનાવવા માટે જાણીતા એકતા કપૂરે આ સંવેદનશીલ વિષય પર ફિલ્મ બનાવવા કમર કસી છે. જો કે તેઓ પોતાની ફિલ્મમાં ટ્રેનનો કોચ સળગાવી દેવાની ઘટનાની તપાસ માટે નિમાયેલા કમિશન રિપોર્ટના આધારે ફિલ્મ બનાવશે કે પછી ધ કાશ્મીર ફાઈલ્સની જેમ પીડિતો અને મૃતકોના પરિવારજનો સાથે વાતચીત પણ કરશે તે અંગે કોઈ સ્પષ્ટતા થઈ નથી. આગામી અઠવાડિયે અયોધ્યામાં શ્રી રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે ત્યારે એકતા કપૂરે કરેલી જાહેરાતથી ફિલ્મ માટેની ઉત્સુકતામાં વધારો થયો છે.