fbpx
Thursday, June 1, 2023

અર્જુનને શરૂઆતમાં શ્રીકૃષ્ણનું વિશ્વરૂપ શા માટે દેખાયું નહીં? જાણો કારણ.

ગીતા રહસ્ય – જ્ઞાનેશ્વરી – ૭૧-૭૨ – અધ્યાય – ૧૧ – વિશ્વરૂપદર્શન યોગ

અત્યાર સુધીમાં શ્રીકૃષ્ણે અર્જુનને આંતરદૃષ્ટિથી (જ્ઞાનદ્રષ્ટિથી) એ વસ્તુની તો પ્રતીતિ કરાવી દીધી કે – ‘સર્વ જગત ઈશ્વરરૂપ (પરમાત્મારૂપ – બ્રહ્મરૂપ – વિશ્વરૂપ) છે.’ જેના લીધે અર્જુનનો ‘મોહ’ તો નાશ પામ્યો. પણ હજુ અર્જુન શ્રીકૃષ્ણના સાકાર દેવ સ્વરૂપમાં શ્રીકૃષ્ણના તે ‘વિશ્વરૂપ’ ના દર્શન કરી શકતો નથી.

તેથી અર્જુનને હવે ઈચ્છા થઇ છે કે – તેને બાહ્યદૃષ્ટિથી (નરી આંખે) પણ શ્રીકૃષ્ણના વિશ્વરૂપના (પરમાત્માના ઐશ્વર્યના) દર્શન થાય. પણ શ્રીકૃષ્ણને તે કેવી રીતે કહે? અર્જુનની હિંમત ચાલતી નથી.

શ્રીકૃષ્ણે પોતાનું ઐશ્વર્ય માતા યશોદા, ગોપીઓ, ગોકુલના લોકો અને સર્વ લોકો આગળ છુપાવ્યું હતું. કોઈએ પણ શ્રીકૃષ્ણ સામે આવીને તેમને “તમારું અસલી પરબ્રહ્મ (વિશ્વરૂપ – પરમાત્મા) નું રૂપ અમને દેખાડો.” એવું કહેવાની હિંમત કરી નહોતી, તો પછી અર્જુન તેમને કેવી રીતે કહે?

પણ શ્રીકૃષ્ણ અને અર્જુનનો એક-બીજા પ્રત્યેનો પ્રેમ દિવ્ય છે. એટલે અર્જુન શરૂઆતના ચાર (૪) શ્લોકમાં શ્રીકૃષ્ણની સ્તુતિ કરી અને શ્રીકૃષ્ણને તેમનું “વિશ્વ રૂપ” બતાવવાની વિનંતી કરે છે.

જેવી રીતે પૂનમના ચંદ્રને જોતાં સમુદ્રમાં ભરતી આવે છે, અને સમુદ્ર ઉછાળા મારે છે, તેવી જ રીતે અર્જુનના પ્રેમ આગળ શ્રીકૃષ્ણના હૃદયમાં પ્રેમનો ઉછાળો આવે છે અને તરત જ પ્રભુએ શ્રીકૃષ્ણ સ્વરૂપ ત્યાગીને જે અજ્ઞાનદૃષ્ટિ-રૂપી પડદાથી લોકોને તે મનુષ્યરૂપ દેખાતા હતા, તે પડદાને ખસેડીને પોતાના યોગબળથી (યોગશક્તિથી) પોતાનું ઐશ્વર્ય (વિશ્વરૂપ) પ્રગટ કર્યું. પરંતુ પ્રેમના આવેશમાં તેમને એ પણ સ્મરણના રહ્યું કે અર્જુનથી એ રૂપ જોઈ શકાશે કે નહિ.

શ્રીકૃષ્ણ તેમનું ઐશ્વર્ય (વિશ્વરૂપ) બતાવતાં કહે છે કે – હે અર્જુન, મારાં અનેક પ્રકાર, અનેક આકાર અને અનેક વર્ણનાં સેંકડો અને હજારો અલૌકિક રૂપો તું જો, કે જે રૂપોને પૂર્વે (આ પહેલાં) કોઈએ કદી પણ ના જોયાં હોય તેવાં આશ્ચર્યકારક રૂપો જે મારામાં છે તેને તું મારામાં નિહાળ (જો). ચરાચર સહિત આ સર્વ જગત અને બીજું જે કંઈ પણ તું જોવા ઈચ્છે તે, એક જ જગ્યાએ અહીં મારામાં તું જોઈ લે.(૫-૬-૭)

આ પ્રમાણે પોતાનું ઐશ્વર્ય બતાવતા વિશ્વરૂપ થયેલા શ્રીકૃષ્ણ પૂર્ણ પ્રેમથી બોલ્યા. પછી પોતાનું આ સ્વરૂપ અર્જુન જુએ છે કે નહિ? અર્જુન ના પ્રતિભાવ શું છે? તેની તપાસ કરવા અર્જુન તરફ જોયું તો તેમને અર્જુન તો સ્વસ્થ બેસી રહેલો જણાયો, જાણે હજુ તેમના (શ્રીકૃષ્ણના) વિશ્વરૂપના દર્શન કરવાની આશામાં મગ્ન થઇ અને “ક્યારે શ્રીકૃષ્ણ તેમનું વિશ્વરૂપ દેખાડે?” તેની રાહ જોઈને ઉભો રહેલો, પહેલાંની જ તેની તે સ્થિતિમાં દેખાણો.

શ્રીકૃષ્ણ મનમાં વિચારે છે કે – આની ઉત્કંઠા હજુ ઓછી થઇ નથી, મેં વિશ્વરૂપ બતાવ્યું પણ તેને આનંદ થયો હોય તેવું લાગતું નથી, કે પછી, તેનાથી વિશ્વરૂપ જોઈ શકાયું ના હોય તેવું પણ બને! એટલે હવે તે અર્જુનને પૂછે છે કે – તને મારું વિશ્વરૂપ જોવું હતું તો તને વિશ્વરૂપ બતાવ્યું પણ તેને તો તું જોતો જ નથી કે શું? કે પછી તને તેનો આનંદ થયો નથી? કે પછી તને તે દેખાણું જ નથી?

ત્યારે અર્જુન કહે છે કે – હે શ્રીકૃષ્ણ, એમાં દોષ કોનો છે? તમે દર્પણને લુછીને સ્વચ્છ કરીને પછી તે આંધળા મનુષ્યને બતાવવાની ખટપટ કરો છો. અથવા તો જાણે બહેરાની સામે ગાયન લલકારવા બેઠા છો. જે વિશ્વરૂપ ઇન્દ્રિયોને દેખાય તેવું નથી જેને માત્ર જ્ઞાનદૃષ્ટિ જ જોઈ શકે છે એવું શાસ્ત્રોએ વર્ણન કર્યું છે, અને એવું આપે પણ કહ્યું હતું, તે વિશ્વરૂપને તમે મારી આંખો (ચર્મચક્ષુ) સામે રજુ કરો તો હું તેને કઈ રીતે જોઈ શકું?

તમારી આ ચૂક વિષે જરા પણ ઉચ્ચાર ન કરતાં, સ્વસ્થ થઈને બેસી રહેવું જ ઠીક છે તેમ વિચારી ધારીને હું સ્વસ્થ થઇને તમારા વિશ્વરૂપના દર્શનની રાહ જોઈને બેઠો હતો.

અર્જુનનું આવું વચન સાંભળી શ્રીકૃષ્ણ બોલ્યા – ભાઈ, અર્જુન તારું બોલવું (કહેવું) મને માન્ય છે. તને જો મારું વિશ્વરૂપ બતાવવાની મારી ધારણા હોય તો મારે તને પ્રથમ તે જોવાનું સામર્થ્ય આપવું જ જોઈએ પણ પ્રેમના ઉમળકામાં બોલતાં બોલતાં તને જ્ઞાનદૃષ્ટિ (દિવ્ય દૃષ્ટિ) આપવાનું મને વિસ્મરણ થઇ ગયું.

જેવી રીતે ખેડ કર્યા સિવાય બીજ વાવવાથી તેટલો સમય વ્યર્થ જાય છે, તેમ દિવ્યચક્ષુનું પ્રદાન (આપ્યા) કર્યા વગર મારી બધી ખટપટ પણ વ્યર્થ ગઈ છે. માટે હવે તને હું એવી દિવ્ય દૃષ્ટિ આપું છું, જેના યોગથી, તું મારું વિશ્વ રૂપ જોઈ શકીશ.આવી રીતે કહીને શ્રીકૃષ્ણે, અર્જુનને દિવ્યદૃષ્ટિ (જ્ઞાન દૃષ્ટિ) આપીને પોતાનું પરમ શ્રેષ્ઠ “દિવ્ય વિશ્વ રૂપ” દેખાડ્યું. અને અર્જુનને તે જોવાનું કહ્યું. (૮-૯)

અત્યાર સુધીમાં ગીતામાં ઘણી વખત આવી ગયું કે – પરમાત્મા (બ્રહ્મ) દરેક આત્મામાં અને જગતના એક એક કણમાં રહેલો છે. દરેક “આત્મા” એ અપ્રગટરૂપે “પરમાત્મા” છે. (આવું બધા જાણે પણ છે) પરંતુ તે પરમાત્મા આપણી આંખોથી (ચર્મચક્ષુથી) દેખાતો નથી, તે પણ હકીકત છે.

શ્રીકૃષ્ણ એક દેવરૂપે અવતાર ધારણ કરીને આવ્યા છે, પણ તેમનામાં રહેલા પરમાત્મા (બ્રહ્મ)ને અર્જુન પણ તેની આંખોથી જોઈ શકતો નથી એ પણ હકીકત છે. અને એથી જ પરમ પરમાત્માના(બ્રહ્મના) દર્શન કરવા જ્ઞાનદૃષ્ટિ કે જેને દિવ્યદૃષ્ટિ તરીકે અહીં ઓળખાવી છે તે જરૂરી છે.

બીજી રીતે કહીએ તો પરમાત્મા નરી આંખે દેખાતા નથી કારણ કે આપણી બુદ્ધિ (કે જેમાં કંઈક પ્રકારનું વિધવિધ જ્ઞાન કે પછી અજ્ઞાન ભરેલું છે!) તેના અને આત્મા અને પરમાત્મા (બ્રહ્મ)ના વચ્ચે એક પડદો છે અને આ પડદો તે અહમનો છે. આ પડદાને ઘણા મહાત્માઓ (૧) પ્રકૃતિનો પડદો (૨) માયાનો પડદો (૩) અજ્ઞાનનો પડદો પણ કહે છે.

સત્ય જ્ઞાન (સાચું જ્ઞાન) માત્ર “એક” જ છે અને તે પરમાત્મ (બ્રહ્મ) જ્ઞાન છે. અને અજ્ઞાનના પડદાને આ જ્ઞાનથી દૂર કરવાનો છે. એટલે આ જ્ઞાનને જ અહીં જ્ઞાનદૃષ્ટિ કે પછી દિવ્યદૃષ્ટિ તરીકે ઓળખવામાં આવી છે.

શ્રીકૃષ્ણે અત્યાર સુધીમાં ઘણું બધું પરમાત્મજ્ઞાન અર્જુનને આપ્યું. પણ હજુ અર્જુનની જ્ઞાનદૃષ્ટિ ખુલી નથી, તેથી તેને હજુ શ્રીકૃષ્ણના સ્વરૂપમાં પોતાના આત્મ સ્વરૂપમાં પરમાત્મા ક્યાંથી દેખાય?

અર્જુનને શ્રીકૃષ્ણમાં “પરમ શ્રદ્ધા” (અત્યંત શ્રદ્ધા) છે અને એથી જ શ્રીકૃષ્ણનો અર્જુન પ્રત્યે વિશેષ પ્રેમભાવ છે, વિશેષ કૃપા છે, અને આ કારણથી જ અર્જુન પ્રત્યે “કૃપા-દૃષ્ટિ” કરી છે અને “દિવ્ય ચક્ષુનું” કે “દિવ્ય દૃષ્ટિ” નું પ્રદાન કર્યું છે (દિવ્યદૃષ્ટિ આપી છે)

એટલે જો બીજી રીતે કહેવું હોય તો એમ પણ કહી શકાય કે – પરમાત્મામાં (કે પછી છેવટે આત્મામાં) શ્રદ્ધા ધરાવનારને સાચું (સત્ય) જ્ઞાન થાય છે. અને આ જ્ઞાન દૃષ્ટિને આધારે જ પરમાત્મા (બ્રહ્મ)ને જાણી શકાય છે.

જ્ઞાનેશ્વરી ગીતા ઉપર આધારિત.

Related Articles

નવીનતમ