ધર્મ ડેસ્ક: શાસ્ત્રોમાં ત્રયોદશી અથવા પ્રદોષ તિથિ ભગવાન શિવને સમર્પિત કરવામાં આવી છે. આ વ્રત હિન્દુ ધર્મમાં સૌથી મહત્વપૂર્ણ વ્રતોમાંથી એક છે. આ દિવસે બાબા ભોળેનાથની પૂજા કરવામાં આવે છે. પ્રદોષ વ્રત કરવાથી વ્યક્તિને તમામ કષ્ટ અને પાપથી મુક્તિ મળે છે. દર હિંદુ માસમાં બે પ્રદોષ તિથિ આવે છે. પહેલા પ્રદોષ તિથિ કૃષ્ણ પક્ષમાં અને બીજી પ્રદોષ તિથિ શુક્લ પક્ષમાં આવે છે.
આ પ્રદોષ તિથિ રવિવારના રોજ હોવાને કારણે તેને રવિ પ્રદોષ પણ કહેવામાં આવશે. આ પ્રદોષ રવિવારે આવતો હોવાથી આ પ્રદોષને ભાનુપ્રદોષ કે રવિ પ્રદોષ કહે છે. રવિ પ્રદોષનો સંબંધ સૂર્ય સાથે હોય છે. આ વ્રત સૂર્ય સાથે સંબંધિત હોવાના કારણે નામ, યશ અને સમ્માનની સાથે સુખ, શાંતિ અને દીર્ઘાયું પ્રાપ્ત થાય છે. જેનાથી કુંડળીમાં અપયશ યોગ અને સૂર્ય સંબંધી તમામ પરેશાનીઓ દૂર થઈ જાય છે.
આવી સ્થિતિમાં સ્વાસ્થ્ય અને માનસિક શાંતિ પ્રાપ્ત કરવા માટે આ વ્રત કરવું જોઈએ. પ્રદોષ તિથિના શુભ મુહૂર્ત અને પૂજા વિધિ વિશે અહીંયા વિગતવાર જાણકારી આપવામાં આવી છે.
પ્રદોષ તિથિ પૂજા મુહૂર્ત
જ્યોતિષીય ગણના અનુસાર 19 માર્ચના રોજ સવારે 8:07 વાગ્યે કૃષ્ણ પક્ષની તેરસ શરૂ થશે. 20 માર્ચ 2023ના રોજ સવારે 4:55 વાગ્યે આ તિથિનું સમાપન થશે. આ દિવસે દ્વિપુષ્કર યોગ બની રહ્યો છે અને પંચક પણ લાગી રહ્યું છે. આ કારણોસર પૂજા માટે આખો દિવસ શુભ માનવામાં આવે છે.
પ્રદોષ વ્રત કેવી રીતે કરવું?
સવારે વહેલા ઉઠીને બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરી લો. ત્યારબાદ ગણેશજીની પૂજા કરો અને ભગવાન શિવ તથા માઁ પાર્વતીની પૂજા કરો. જળ અને દૂધથી અભિષેક કરો. બિલીપત્ર, સફેદ પુષ્પ, પ્રસાદ અર્પણ કરો. અનેક લોકો આ વ્રત કરે છે. જો તમે પણ આ વ્રત કરો છો, તો લાલ મરચા, અન્ન, ચોખા અને મીઠુ ના ખાવા જોઈએ. આ વ્રતમાં માત્ર ફળ ગ્રહણ કરો.