ધર્મ ડેસ્ક: દેશભરમાં રંગોનો તહેવાર હોળીની તૈયારીઓ ચાલી રહી છે. હોળીના એક દિવસ પહેલા હોલિકા દહન થાય છે. હોલિકા સળગ્યા પછી લોકો શરીર પર લાગેલ ઉબટન એમાં નાખે છે. એટલું જ નહિ એની અગ્નિમાં ચણા અને ધાણી પણ નાખે છે. માન્યતા છે કે હોલિકા દહનમાં એવું કરવાથી નકારાત્મક ઉર્જા સમાપ્ત થઇ જાય છે. કાશીના વિદ્વાન સ્વામી કનૈયા મહારાજે જણાવ્યું કે માત્ર હોલિકા દહન જ નહિ પરંતુ એની રાખ પણ જીવનના ઘણા દુઃખોમાંથી મુક્તિ અપાવે છે. એના માટે હોલિકાની રાખ સાથે કેટલાક મહાઉપાયો દ્વારા તમારા જીવનમાં ખુશી લાવી શકો છો.
હોલિકાની રાખ ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરવામાં ખૂબ અસરકારક છે. આના દ્વારા કોઈને પણ ખરાબ નજરથી બચાવી શકાય છે. જ્યારે ઘરમાં કોઈને ખરાબ નજર લાગે છે, ત્યારે હોલિકાની ભસ્મને તેના માથામાંથી 3 કે 7 વાર ફેરવી ચોકડી પર ફેંકી દેવી જોઈએ. તેનાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને શારીરિક પીડામાંથી પણ રાહત મળે છે.
નાણાકીય કટોકટીમાંથી મુક્તિ
આ સિવાય ધનની સાથે જીવનમાં સમૃદ્ધિ માટે લોકો હોલિકાની ભસ્મને લાલ કપડામાં બાંધીને ઘરની તિજોરીમાં રાખી શકે છે. આનાથી આર્થિક સંકટ પણ દૂર થાય છે. સાથે જ હોલિકા દહન કર્યા પછી તેની ભસ્મને કપાળ પર તિલક કરીને લગાવવાથી જીવનના દુઃખ અને ઘરની પરેશાનીઓ પણ દૂર થઈ જાય છે.
પ્રહલાદને પણ દુઃખમાંથી મુક્તિ મળી હતી
ધાર્મિક માન્યતા અનુસાર હોલાષ્ટકના આ આઠ દિવસોમાં ભગવાન વિષ્ણુના પરમ ભક્ત પ્રહલાદને તેમના પિતા હિરણ્યકશ્યપ દ્વારા મૃત્યુ જેવી પીડા આપવામાં આવી હતી. છેલ્લા દિવસે, હોલિકા તેની સાથે તેના ખોળામાં અગ્નિમાં બેઠી હતી.
હોલિકાને વરદાન હતું કે અગ્નિ તેને ક્યારેય બાળી શકે નહીં, પરંતુ ભગવાનની કૃપાથી હોલિકા બળી ગઈ અને પ્રહલાદ આ અગ્નિમાંથી સલામત રીતે બહાર આવી ગયો. હોલિકા દહનની સાથે પ્રહલાદને પણ અનેક મુશ્કેલીઓમાંથી મુક્તિ મળી હતી.