મિર્ઝાપુર: ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરમાં લગ્ન બાદ માતા વિંધ્યવાસિની મંદિર દર્શન કરવા આવેલી નવ પરણિત દુલ્હન સાસરિયાપક્ષને છેતરીને પ્રેમી સાથે ફરાર થઈ ગઈ હતી. વોશરુમ જવાના બહાને દુલ્હન જ્યારે લાંબા સમય સુધી પાછી આવી નહીં, તો તેની તપાસ હાથ ધરી. જ્યારે તે ન મળી તો પીડિત પતિ વિંધ્યાચલ કોતવાલી પહોંચ્યો અને પોલીસ પાસે મદદ માગી હતી.
પોલીસે જ્યારે તપાસ કરી તો, જાણવા મળ્યું કે, દુલ્હન મંદિરેથી પટેંગરાનાળા તરફ ચાલતા ચાલતા જતી હતી. બાદમાં લાલ રંગના બાઈકમાં તેના પ્રેમી સાથે ફરાર થઈ ગઈ હતી. તેના ભાગવાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.
હકીકતમાં જોઈએ તો, જૌનપુરના રહેવાસી યુવકના લગ્ન આઝમગઢની રહેવાસી યુવતી સાથે 10 ફેબ્રુઆરી 2023ના રોજ થયા બાદ લગ્ન બાદ પરિવાર નવદંપતિને લઈને 19 ફેબ્રુઆરીએ માતા વિંધ્યવાસિની મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા.
વોશરુમ જવાના બહાને 10 રૂપિયા માગ્યા
દર્શન કર્યા બાદ પરિવારના લોકો ખાવામાં વ્યસ્ત હતા. આ દરમિયાન દુલ્હને પતિ પાસેથી વોશરુમ જવાના બહાને 10 રૂપિયા માગ્યા. ત્યાર બાદ તે મંદિરમાંથી એકલી બહાર આવી ગઈ. ઘણા સમય સુધી તે પાછી ન આવી તો, પરિવારને ચિંતા થવા લાગી. દરેક લોકો તેને શોધવા લાગ્યા. પણ ઘણી વાર સુધી તેને શોધવા છતાં પણ તેની જાણ થઈ નહીં. બાદમાં પતિએ પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ નોંધાવી હતી.
બાઈક પર બેસીને પ્રેમી સાથે નીકળી ગઈ
પોલીસે મંદિર આવીને આ વિસ્તારની તપાસ હાથ ધરી.ત્યાં લાગેલા સીસીટીવી કેમેરાના ફુટેજ જોયા. તેમાં દુલ્હન ચાલતી ચાલતી નાળા તરફ જતી દેખાઈ. સીસીટીવીમાં દેખાઈ રહ્યું છે કે નાળા નજીક એક યુવક અપાચે બાઈક લઈને ઊભો હતો. યુવક પાસે દુલ્હન ગઈ અને કંઈક વાતો કરી અને બાદમાં બાઈક પર બેસીને નીકળી ગઈ.
પોલીસે આ વાત કહી
આ મામલાને લઈને કોતવાલી વિંધ્યાચલ એસએચઓ અતુલ રાયનું કહેવું છે કે, યુવકે પત્ની ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. તપાસમાં જાણવા મળ્યું કે, તે કોઈ યુવક સાથે ફરાર થઈ ગઈ છે. પીડિત પરિવાર તરફથી પોલીસ સ્ટેશનમાં કોઈ લેખિત ફરિયાદ આપી નથી. જો કોઈ લેખિત ફરિયાદ નોંધાવે તો, આગળની કાર્યવાહી હાથ ધરાશે. કહેવાય છે કે, તે યુવક સાથે દુલ્હન ફરાર થઈ છે, એ તેનો પ્રેમી છે.