નવી દિલ્હી: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ના પિતા પર અભદ્ર ટિપ્પણી કરવાના મામવામાં કોંગ્રેસ નેતા અને પ્રવક્તા પવન ખેરા (Pawan Khera) સામે કેસ નોંધવામાં આવ્યો છે. પીએમ મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં મોટી સંખ્યામાં ભાજનના કાર્યકર્તાઓ પોલીસ કમિશનરના નિવાસસ્થાને પહોંચ્યા હતા. પીએમ મોદી પર કરવામાં આવેલી વાંધાજનક ટિપ્પણી પર ભાજપના કાર્યકરોએ ગુસ્સો વ્યક્ત કર્યો છે. આ અંગે વારાણસીના કેન્ટ વિસ્તારમાં કેસ નોંધવામાં આવ્યો છે.
કોંગ્રેસ હવે અભદ્ર રાજનીતિ તરફ વળી: ભાજપનો આક્ષેપ
ઉલ્લેખનીય છે કે, ભાજપના કાર્યકરોએ આ મામલે કોંગ્રેસ પર આરોપ લગાવ્યો છે. ભાજપનું કહેવું છે કે, આવા નિવેદનો રાહુલ ગાંધીના ઈશારે થઈ રહ્યા છે. કોંગ્રેસ હવે અભદ્ર રાજનીતિ તરફ વળી ગઈ છે. વાસ્તવમાં પવન ખેરાએ પીએમ મોદીનું પૂરું નામ બોલતા તેમના પિતાનું ખોટું નામ બોલ્યું હતું. જોકે તેણે ભૂલ સુધારી હતી, પરંતુ બાદમાં ફરીથી ખોટું નામ લઈને ટોણો માર્યો હતો. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, વડાપ્રધાન મોદીનું પૂરું નામ નરેન્દ્ર દામોદરદાસ મોદી છે. દામોદરદાસ તેમના પિતાનું નામ છે.
લખનૌમાં પણ નોંધાયો કેસ
લખનૌમાં પણ પવન ખેરા વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિવંગત પિતાની જાણીજોઈને મજાક ઉડાવવાના આરોપમાં કોંગ્રેસના પ્રવક્તા પવન ખેરા સામે ભાજપના એક નેતાની ફરિયાદ પર કેસ નોંધવામાં આવ્યો છે. હઝરતગંજ પોલીસ સ્ટેશનમાં સોમવારે ભારતીય દંડ સંહિતાની કલમ 153-A, 500, 504 અને 505 (2) હેઠળ ખેરા વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો.
બીજેપી નેતા મુકેશ શર્માએ કહ્યું કે, કોંગ્રેસના પ્રવક્તા (પવન ખેરા)એ જે રીતે નિવેદન આપ્યું છે તેનાથી લોકોની ભાવનાઓને ઠેસ પહોંચશે. શર્માનો આરોપ છે કે તેણે જાણીજોઈને વડાપ્રધાનના સ્વર્ગસ્થ પિતાની મજાક ઉડાવવાનો પ્રયાસ કર્યો હતો.
પવન ખેરાના આ વિવાદાસ્પદ નિવેદનને લઈને ભાજપ સતત હુમલો કરી રહ્યું છે. ભાજપનું કહેવું છે કે, કોંગ્રેસ દ્વારા આ રીતે વડાપ્રધાનના પિતાની મજાક ઉડાવવી એ નિંદનીય છે.
પવન ખેરાએ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને લઈને સરકારની ટીકા કરતા આ નિવેદન આપ્યું હતું. પવન ખેરાએ પોતાના નિવેદનમાં વડાપ્રધાનને ‘નરેન્દ્ર ગૌતમ દાસ મોદી’ કહ્યા હતા.