ગાંધીનગર: આજ રોજ શુક્રવારે બપોરે ગાંધીનગર મહાનગરપાલિકાની નવી કચેરી ખાતે મેયરહિતેશભાઈ મકવામાની અધ્યક્ષતામાં સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધીનગર મહાનગરપાલિકાની નવી કચેરી ખાતેની પ્રથમ વખતની સામાન્યસભા ખુબ હકારાત્મક માહોલમાં યોજાઈ હતી. હિતેશભાઈ મકવાણાની અધ્યક્ષતામાં યોજાયેલી સામાન્યસભામાં તેમના આગ્રહથી સૌ પ્રથમ એક મિનિટનું મૌન પાળીને તૂર્કીમાં ભૂકંપથી મૃત્યુ પામેલા દિવંગતોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. ત્યારબાદ હિતેશભાઈ મકવાણાએ G20 સમિટનું યજમાન પદ ભારતને મળવા બદલ સીએમ અને પીએમ ને અભિનંદન પાઠવ્યા હતા.
કાર્યવાહીસૂચિ મુજબના વિષયો અંગે થઈ ચર્ચા
સામાન્ય સભાની શરૂઆત કર્યા બાદ કાર્યવાહીસૂચિ મુજબના વિષયો અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં કાર્યસૂચિમાં સામેલ 13 પૈકી 12 વિષયોને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી જ્યારે વિષય નંબર 10 મિલકત વેરામાં વધારાની બાબતે ચર્ચા કરીને નવો વધારો સૂચવવામાં આવ્યો હતો. મિલકતવેરાના સામાન્ય દરોમાં રહેણાક મિલકતોમાં રૂપિયા 5/- પ્રતિ ચો.મી.ના સૂચિત વધારાને બદલે માત્ર રૂપિયા 1.25/- પ્રતિ ચો.મી.નો વધારો કરવામાં આવ્યો. જ્યારે બિનરહેણાક મિલકતોમાં રૂપિયા 10/- પ્રતિ ચો.મી.ના સૂચિત વધારાને બદલે માત્ર રૂપિયા 2.25/- પ્રતિ ચો.મી. કરવામાં આવ્યો.
સામાન્ય સભામાં થઈ મહત્વની ચર્ચાઓ
કાર્યસૂચિ ઉપરાંત કાઉન્સિલરઅનિલસિંહ વાઘેલા દ્વારા પેથાપુરના ઇન્ડસ્ટ્રિયલ વિસ્તારને રહેણાંક વિસ્તાર જાહેર કરવા માટેની દરખાસ્ત કરવામાં આવી હતી. તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, પેથાપુરના કેટલાક વિસ્તારને ઇન્ડસ્ટ્રિયલ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યો છે પરંતુ આ વિસ્તારમાં રહેણાક, વાણિજ્ય તથા શૈક્ષણિક પ્રવૃત્તિઓ થાય છે તેમજ તે હરિયાળો વિસ્તાર છે તથા ઇન્ડસ્ટ્રિયલ ઝોન જાહેર કર્યા બાદથી અહી કોઈ ઔદ્યોગિક પ્રવૃત્તિ થતી નથી. જેથી આ વિસ્તારને રહેણાક વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવે. અનિલસિંહ વાઘેલાની રજૂઆતને હિતેશભાઈ મકવાણા દ્વારા આવકારવામાં આવી હતી તથા અન્ય કાઉન્સિલરો દ્વારા તેમને ટેકો પણ આપવામાં આવ્યો હતો.
રાજ્ય સરકારમાં આ મુદ્દે રજૂઆત કરવામાં આવશે
જોકે, મેયરે જણાવ્યુ હતું કે, ‘દરખાસ્તને સામાન્યસભામાં ગ્રાહ્ય રાખવામાં આવી છે પરંતુ આ અંગેનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવનાર હોવાથી સામાન્યસભા વતી રાજ્ય સરકારમાં આ મુદ્દે રજૂઆત કરવામાં આવશે.’ મિલકતવેરાના સામાન્ય દરોમાં રહેણાક મિલકતોમાં રૂપિયા 5/- પ્રતિ ચો.મી.ના સૂચિત વધારાને બદલે માત્ર રૂપિયા 1.25/- પ્રતિ ચો.મી.નો વધારો કરવામાં આવ્યો. જ્યારે બિનરહેણાક મિલકતોમાં રૂપિયા 10/- પ્રતિ ચો.મી.ના સૂચિત વધારાને બદલે માત્ર રૂપિયા 2.25/- પ્રતિ ચો.મી. કરવામાં આવ્યો.