નવી દિલ્હીઃ દુનિયાના ઘણાં દેશોમાં કોરોના વાયરસ (Coronavirus) ફરી એકવાર ફૂંફાળા મારી રહ્યો છે. ચીન સહિતના દેશોમાં વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. જેમાં સિગોપોર, હોંગકોંગ, દક્ષિણ કોરિયા, થાઈલેન્ડ અને જાપાનનો પણ સમાવેશ થાય છે. કોરોનાને ભારતમાં ફેલાતો અટકાવવા માટે સરકાર દ્વારા જરુરી પગલા ભરવામાં આવી રહ્યા છે. કોરોનાને રોકવા માટે ભારત સરકાર (Govt Of India) એલર્ટ મોડમાં છે. જ્યારે કોરોનાના સબ-વેરિયન્ટ (Corona Sub Variant)ને લઈને ઘણાં રિપોર્ટ્સમાં અલગ-અલગ દાવા કરવામાં આવ્યા છે કે ઓમિક્રોન (Omicron)ના સબ-વેરિયન્ટ BA.5 ઘણો ઘાતક છે. જેમાં વેરિયન્ટ મગજ પર ઘાતક અસર કરતો હોવાના દાવા પણ કરવામાં આવી રહ્યા છે.
PIBએ સ્ટડીને લઈને કર્યું ફેક્ટ ચેક
જોકે, આ દાવો ખોટો છે. PIB Fact Checkમાં જણાવવામાં આવ્યું છે કે ઓમિક્રોનનો સબ-વેરિયન્ટ BA.5ની મગજ પર ઘાતક અસર થતી હોવાની વાત ખોટી છે. PIBFactCheck ટ્વિટર હેન્ડલથી ટ્વિટ કરવામાં આવ્યું છે કે આ દાવો સાચો નથી સંપૂર્ણ રીતે ગેરમાર્ગે દોરનારો છે. આ ફેક્ટ ચેક પ્રમાણે અલગ-અલગ ન્યૂઝ રિપોર્ટ્સમાં આ અંગનો ખોટો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેની કોઈ સાબિતી નથી. સ્ટડીમાં ઓમિક્રોનના સબ-વેરિયન્ટ BA.5થી માણસના મગજ પર અસર પડવાની વાત સામે આવી છે.

મીડિયા રિપોર્ટ્સમાં કરાયેલા દાવાને ફગાવાયા
મીડિયા રિપોર્ટ્સમાં કહેવાયું હતું કે સ્ટડી દરમિયાન BA.5 સબ વેરિયન્ટે ઉંદર અને માણસના મગજ પર ખરાબ અસર કરે છે. તેનાથી મગજમાં સોજો ચઢે છે, વજન ઘટે છે અને મૃત્યુની આશંકા વધી ગઈ. રિસર્ચનો એવો ઉલ્લેખ કરાયો છે કે ઉંદરના મગજ પર BA.5ની અસર થતા તેનું મોત થયું. જોકે, PIBએ ફેક્ટ ચેક કરીને મીડિયા રિપોર્ટ્સના દાવાને ખોટો પાડ્યો છે.
અત્યાર સુધીમાં ભારતમાં 4 કરોડથી વધુ કોરોનાના કેસ નોંધાઈ ચૂક્યા છે
ભારતમાં નોંધાતા દૈનિક કેસનો આંકડો 200ની અંદર આવી ગયો છે. દેશમાં નવા 173 કેસ નોંધાયા છે અને તેની સાથે કુલ સંક્રમિતોનો આંકડો વધીને 4,46,78,822 થઈ ગયો છે. જ્યારે એક્ટિવ કેસની સંખ્યા 2670 છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા સોમવારે સવારે રજૂ કરાયેલા આંકડા પ્રમાણે ઉત્તરાખંડમાં એકના મોત સાથે કુલ મૃત્યુઆંક 5,30,707 થઈ ગયો છે.
નોંધ: આ લેખ માં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી નાં ઉદ્દેશ્ય થી આપવામાં આવી છે. સ્વાસ્થ્ય ને લગતી કોઈ પણ માહિતી નું પાલન કરતા પહેલા તમારા ડૉક્ટર ની સલાહ અવશ્ય લેવી.