Rinku Thakor , mehsana: મહેસાણા- રાધનપુર ચોકડીથી વાઈડ એંગલ સુધી ટ્રાફિકનું સમસ્યા ઘટાડવા હવે હાઈવે પરનાં બીનજરૂરી કટ્સ બંધ કરાશે. રાધનપુર સર્કલથી ખારી નદી પુલ સુધીના મુખ્ય હાઇવે પર વાહન પાર્કિંગ માટે બંને બાજુ 3-3 મીટરની જગ્યા રહેશે.
મહેસાણા શહેર સહિતના વાહન ચાલકો માટે ટ્રાફિકને લઈ માથાના દુ:ખાવા સમાન બની ગયેલા રાધનપુર ચાર રસ્તા પરના ટ્રાફિકના ભારણને ઘટાડવા રાધનપુર ચાર રસ્તાથી વાઈડ એંગલ સુધી હાઇવે પરનાં બીનજરૂરી કટ્સ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
સર્વિસ રોડ પર પ્રથમ 2 લેન વન-વે, છેલ્લી રોંગ સાઇડ આવવા માટે રહેશે
રાધનપુર સર્કલથી ખારી નદીના પુલ સુધીના સાડા 3 કિલોમીટરના મુખ્ય હાઇવે પર વાહનોની અવર-જવર માટે માર્કિંગ કરી દેવાયા છે. બંને બાજુ 3-3 લેનના સર્વિસ રોડ પર પ્રથમ 2 લેન વન-વે રહેશે. જ્યારે છેલ્લી લેનનો ઉપયોગ રોંગ સાઇડ આવવા માટે કરી શકાશે. આ ઉપરાંત હાઇવે પર વાહન પાર્કિંગ માટે 3-3 મીટરની લેન છોડવામાં આવી છે. જેમાં યલ્લો લાઇન બહાર 3 મીટરના વિસ્તારમાં વાહન પાર્કિંગ કરી શકાશે.
લાઇન બહાર પાર્ક કરેલા વાહનનો ટોઇંગ કરી દંડનીય કાર્યવાહી કરાશે
કરોડોના ખર્ચે અંડરપાસ બન્યા બાદ પણ રાધનપુર ચાર રસ્તા, નાગલપુર ચોકડી અને વિકાસનગર પાટિયા સામે સર્જાતી રોજિંદી ટ્રાફિક સમસ્યા વાહનચાલકો માટે શીરદર્દ બની છે. ત્યારે આ જગ્યાઓ ઉપર ટ્રાફિકનું ભારણ ઘટાડવા જિલ્લા પોલીસવડા અચલ ત્યાગી દ્વારા શુક્રવારે આરટીઓ અને માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ સાથે રાધનપુર ચાર રસ્તાથી વાઈડ એંગલ સુધીના હાઇવેની વિઝિટ કરાઇ હતી.
અંડરપાસ બન્યા પછી મુખ્ય ફોરલેન સિવાય પણ સર્વિસ રોડ ફોરલેન બનાવાયો છે, ત્યારે સર્વિસ રોડના એક ભાગમાં વાહનોના પાર્કિંગ માટે પીળા પટ્ટા કર્યા બાદ તેની અંદર જ વાહન ચાલકો વાહનો પાર્ક કરી શકશે. બાકી રહેલ રોડ વાહન વ્યવહારના ઉપયોગમાં લેવાશે.